નમસ્તે મિત્રો, GCERT Sociology Textbook Std-11 । Chapter-3 ‘સામાજિક વ્યવસ્થા અને સામાજિક રચનાતંત્ર ’ ની આ નોટ્સ TAT (Teacher Aptitude Test) અને વર્ગ-૩ ની પરીક્ષા ના સ્તરને અનુરૂપ તૈયાર કરવામાં આવી છે.
પ્રકરણ-3: સામાજિક વ્યવસ્થા અને સામાજિક રચનાતંત્ર
1. પ્રસ્તાવના અને પાયાની સમજૂતી
માનવ સમાજ એ વ્યક્તિઓનો અસ્તવ્યસ્ત સમૂહ નથી, પરંતુ એક સુનિયોજિત અને વ્યવસ્થિત એકમ છે. વિશાળ માનવ સમાજમાં માનવીની પાયાની જરૂરિયાતોની પૂર્તિ માટે અનેક વ્યવસ્થાઓ અને પેટા-વ્યવસ્થાઓ કાર્યરત હોય છે. જેમ કે, બાળકના જન્મ, રક્ષણ અને સંસ્કાર-સિંવન માટે કુટુંબ જેવી સંસ્થા છે, તો શૈક્ષણિક જરૂરિયાતો માટે શિક્ષણ વ્યવસ્થા છે. આ ઉપરાંત લગ્ન, જ્ઞાતિ, આર્થિક અને ધાર્મિક જેવી વ્યવસ્થાઓ માનવીની સામાજિક જરૂરિયાતો સંતોષે છે.
રચનાનો ખ્યાલ: કોઈપણ ભૌતિક વસ્તુની રચના તેના વિવિધ ભાગોની પદ્ધતિસરની ગોઠવણીથી બને છે. દા.ત., મોટરકાર તેની મશીન, વ્હીલ, સ્ટિયરિંગ અને ગ્લાસ જેવા ભાગોના જોડાણથી બને છે. તેવી જ રીતે, શાળા એ આચાર્ય, શિક્ષકો, વિદ્યાર્થીઓ, ક્લાર્ક અને પટાવાળા જેવા સામાજિક સ્થાનોના જોડાણથી બનેલી સામાજિક રચના છે. સામાજિક વ્યવસ્થા અને સામાજિક રચનાતંત્ર એકબીજાના પૂરક છે; વ્યવસ્થા વિના સામાજિક કાર્ય સંભવ નથી અને રચના વિના વ્યવસ્થા ટકી શકતી નથી.
નોંધ: પરીક્ષામાં અવારનવાર ‘શાળા’ અથવા ‘કુટુંબ’ કઈ રીતે સામાજિક રચના છે તેવા પ્રશ્નો પુછાય છે. યાદ રાખવું કે સામાજિક સ્થાનોનું જોડાણ એ જ રચના છે.
2. સામાજિક વ્યવસ્થા અને રચનાતંત્ર: સમાજશાસ્ત્રીય દ્રષ્ટિકોણ
સમાજશાસ્ત્રના પાયાના ખ્યાલોને સમજવા માટે નીચેના વિદ્વાનોનું પ્રદાન અનિવાર્ય છે:
- હર્બર્ટ સ્પેન્સર: તેમણે માનવ સમાજ અને શરીરની તુલના કરી છે. જે રીતે શરીરમાં વિવિધ અંગો પરસ્પર જોડાઈને કાર્ય કરે છે, તેમ સમાજમાં વિવિધ સંસ્થાઓ કાર્ય કરે છે.
- બ્રોનિસ્લો મેલિનોવોસ્કી: તેમણે માનવ-જરૂરિયાત આધારિત સામાજિક રચનાતંત્રની વિગતવાર રજૂઆત કરી છે.
- તાલકોટ પાર્સન્સ: તેમણે સામાજિક વ્યવસ્થાને ચાર પેટા-વ્યવસ્થાઓના સંદર્ભમાં સમજાવી છે (AGIL મોડેલ).
ઉપયોગી: “સમાજની તુલના જીવંત શરીર સાથે કોણે કરી?” – જવાબ: હર્બર્ટ સ્પેન્સર. આ પ્રશ્ન વારંવાર પૂછાય છે.
3. સામાજિક વ્યવસ્થાની વ્યાખ્યા અને લક્ષણો
ચોક્કસ વ્યાખ્યાઓ:
- તાલકોટ પાર્સન્સ: “સામાજિક વ્યવસ્થા એટલે એકબીજા સાથે કાર્યાત્મક સંબંધોમાં રહેલા ભાગો દ્વારા બનેલો એક જટિલ સંકુલ.”
- સોરોકિન: “સામાજિક વ્યવસ્થા એક સંગઠિત જૂથ છે, જે તેના સભ્યોના હકો, ફરજો, સામાજિક સ્થાનો, કાર્યો, ભૂમિકાઓ તેમજ પરસ્પરનાં વર્તન અને જૂથ બહારના વિશાળ સમાજના સભ્યો સાથેના વર્તન સ્થાપિત કરતાં સામાજિક ધોરણોનો સંકુલ ધરાવે છે.”
નિષ્કર્ષ: સામાજિક સ્થાન કે દરજ્જામાં રહીને ભૂમિકા ભજવતી વ્યક્તિઓની અંતઃક્રિયાની વ્યવસ્થાને સામાજિક વ્યવસ્થા કહેવાય.
સામાજિક વ્યવસ્થાના લક્ષણો:
- વિભિન્ન ભાગો વચ્ચે પરસ્પરવલંબન: વ્યવસ્થા બનવા માટે ઓછામાં ઓછા બે સામાજિક એકમોનું જોડાણ આવશ્યક છે. દા.ત. કુટુંબમાં માતા-પિતા, પતિ-પત્ની વગેરે એકબીજા પર આધારિત છે.
- સામાજિક વ્યવસ્થામાં સ્થિરતા: દરેક વ્યવસ્થા પોતાની આગવી ઓળખ બનાવી અનુકૂલન સાધે છે અને લાંબા સમય સુધી સ્થિરતા ધારણ કરે છે.
- સામાજિક વ્યવસ્થામાં પરિવર્તન: કોઈપણ વ્યવસ્થા જડ નથી. તંત્રને ટકાવી રાખવા માટે સાતત્ય જાળવતા રહીને અનુકૂળ થવા માટે પરિવર્તન આવવું અનિવાર્ય છે.
4. સામાજિક વ્યવસ્થાના પાસાઓ
તાલકોટ પાર્સન્સે દર્શાવેલા પાંચ મુખ્ય પાસાઓ નીચે મુજબ છે:
- ઉપજૂથો: સમાજમાં અનેક પેટાજૂથો હોય છે જેમાં વ્યક્તિઓ વિવિધ સામાજિક સ્થાનો ધરાવે છે. દા.ત. ભારત એક જૂથ હોય તો તેના રાજ્યો (ગુજરાત, મહારાષ્ટ્ર) ઉપજૂથો છે. શાળા એક જૂથ હોય તો તેના વિદ્યાર્થીઓ, શિક્ષકો અને વહીવટી કર્મચારીઓ ઉપજૂથો છે. દરેક ઉપજૂથમાં વિવિધ દરજ્જાઓનો કોટિક્રમ રહેલો હોય છે.
- ભૂમિકાઓ: સામાજિક દરજ્જાના સંદર્ભમાં કરવામાં આવતા કાર્યને ભૂમિકા કહેવાય છે. તે દરજ્જાનું વર્તનલક્ષી પાસું છે.
- સામાજિક ધોરણો: અમુક સામાજિક પરિસ્થિતિમાં વ્યક્તિના વર્તનને નિયંત્રિત કરતા માપદંડો. તે સમૂહજીવનનું વાતાવરણ રચે છે.
- સાંસ્કૃતિક મૂલ્યો: વ્યક્તિના વર્તનનું મૂલ્યાંકન કરવા માટેના ધોરણો (દા.ત. શાળામાં આચાર્યશ્રીએ પ્રામાણિકતા અને પારદર્શકતાથી કાર્ય કરવું).
- ધ્યેયો: માનવીની પાયાની જરૂરિયાતો સંતોષવા માટે કુટુંબ, લગ્ન, અર્થ, રાજ્ય અને શિક્ષણ જેવી વ્યવસ્થાઓ કાર્યરત રહે છે.
ટિપ્સ: ‘ઉપજૂથ’માં રહેલા દરજ્જાઓની ગોઠવણીને કોટિક્રમ (Hierarchy) કહેવામાં આવે છે, જે વસ્તુલક્ષી પ્રશ્નોમાં પૂછાઈ શકે છે.
5. સામાજિક રચનાતંત્ર: અર્થ અને વ્યાખ્યા
રચના એટલે ભાગોની પદ્ધતિસરની ગોઠવણી.
- ભૌતિક રચના: મકાનની રચનામાં ઈંટો, રેતી, કપચી, સિમેન્ટ ઉપરાંત બારી-બારણાં, વર્ગખંડ, સ્ટાફરૂમ, લેબોરેટરી, લાયબ્રેરી વગેરેની પદ્ધતિસરની ગોઠવણી હોય છે.
- સામાજિક રચના: તે સામાજિક સ્થાનો (દરજ્જા), ભૂમિકા અને ધોરણોની ગુથણી છે.
પ્રમુખ વ્યાખ્યાઓ:
- રોબર્ટ મર્ટન: “સામાજિક રચનાતંત્ર એટલે દરજ્જા, ભૂમિકા અને ધોરણોનું સંકુલ.”
- વિદ્યુત જોશી: “સમાજમાં વ્યક્તિઓ દરજ્જા ધરાવે છે અને તે મુજબ ભૂમિકા ભજવે છે. આ રીતે સામાજિક સંબંધોની જે ગુથણી તૈયાર થાય છે તેને સામાજિક રચના કહેવાય.”
6. સામાજિક રચનાતંત્રના લક્ષણો : GCERT Sociology Textbook Std-11 । Chapter-3
- સામાજિક દરજ્જાઓનો સમૂહ: દરજ્જા એ રચનાતંત્રનો પ્રથમ એકમ છે. વિવિધ દરજ્જાઓ દ્વારા સામાજિક શ્રમ-વિભાજન થાય છે. દા.ત. શાળામાં આચાર્ય, શિક્ષક અને ક્લાર્ક વચ્ચે કાર્યોની વહેંચણી.
- સામાજિક ભૂમિકાઓનો સમૂહ: દરજ્જો એ સ્થાન છે, જ્યારે ભૂમિકા એ તેનું વર્તનલક્ષી પાસું છે. કોઈપણ રચનાતંત્રમાં ધ્યેય પ્રાપ્તિ માટે વ્યક્તિએ દરજ્જા મુજબ ભૂમિકા ભજવવી પડે છે.
- સામાજિક ધોરણો: સામાજિક રચનાતંત્રને કાર્યાન્વિત રાખવા માર્ગદર્શક નિયમો જરૂરી છે. જો શાળામાં પ્રવેશ, પરીક્ષા કે અભ્યાસક્રમના ધોરણો ન હોય તો તંત્ર ખોરવાઈ જાય છે.
7. સામાજિક રચનાતંત્રનું AGIL મોડેલ (તાલકોટ પાર્સન્સ)
તાલકોટ પાર્સન્સે કોઈપણ સામાજિક વ્યવસ્થાની ચાર કાર્યાત્મક જરૂરિયાતો સમજાવવા માટે આ મોડેલ આપ્યું છે.
| ક્રમ | કાર્યાત્મક જરૂરિયાત (AGIL) | સંબંધિત પેટા વ્યવસ્થા | મુખ્ય કાર્ય |
| 1 | Adaptation (અનુકૂલન) | અર્થવ્યવસ્થા | ભૌતિક જરૂરિયાતો (ખોરાક, રહેઠાણ) પૂરી પાડવી. |
| 2 | Goal Attainment (ધ્યેયપ્રાપ્તિ) | રાજ્યવ્યવસ્થા | સમાજ માટે લક્ષ્યો નક્કી કરવા અને નિર્ણયો લેવા. |
| 3 | Integration (સુગ્રથન) | કાનૂની અને ન્યાયતંત્ર | આંતરિક ભાગોનું સંકલન અને વફાદારી જાળવવી. |
| 4 | Latent pattern maintenance and tension management (રચનાની જાળવણી અને તંગદિલી નિવારણ) | કુટુંબ, ધર્મ, શિક્ષણ | મૂલ્યો જાળવી રાખવા અને સંઘર્ષ/તંગદિલી દૂર કરવી. |
વિગતવાર સમજ:
- અનુકૂલન: સમાજે પર્યાવરણ સાથે અનુકૂલન સાધવા ઉત્પાદન અને વહેંચણીની વ્યવસ્થા કરવી પડે છે (અર્થવ્યવસ્થા).
- ધ્યેયપ્રાપ્તિ: સામાજિક તંત્રમાં નિર્ણય લેનારી સંસ્થા એટલે રાજ્યસંસ્થા, જે લક્ષ્યો પ્રાપ્ત કરવામાં મદદરૂપ થાય છે.
- સુગ્રથન: કાયદા અને અદાલતો દ્વારા સામાજિક ધોરણોનું પાલન કરાવીને એકતા સ્થાપવામાં આવે છે.
- રચનાની જાળવણી અને તંગદિલી નિવારણ: જ્યારે વ્યક્તિમાં સંઘર્ષ કે તંગદિલી ઉભી થાય ત્યારે કુટુંબ, ધર્મ અને શિક્ષણ તેને પ્રોત્સાહિત કરી સ્થિરતા આપે છે.
ખાસ ટિપ્પણી: ઉમેદવારોએ ખાસ નોંધવું કે ‘L’ (Latency) ઘટકમાં તંગદિલી નિવારણનો સમાવેશ થાય છે. પરીક્ષામાં પ્રશ્ન પૂછાઈ શકે: “તંગદિલી નિવારણનું કાર્ય કઈ સંસ્થાઓ કરે છે?” – જવાબ: કુટુંબ, ધર્મ અને શિક્ષણ.


